સાવિત્રીબાઈ ફુલેની જન્મ જયંતી પર શત શત વંદન
માતા સાવિત્રીબાઈ ફૂલે નો જન્મ 3જી જાન્યુઆરી 1831 નાં દિવસે થયો હતો. માતા સાવિત્રીબાઈ ફૂલે એટલે વિશ્વ નાં એકમાત્ર "શિક્ષણાગ્રહ" નાં અગ્રદૂત, શિક્ષણાગ્રહી.
આખો દેશ મીઠાનાં સત્યાગ્રહ વિશે રજેરજ ની જાણકારી ધરાવે છે, અરે મીઠાનાં સત્યાગ્રહ તથા સત્યાગ્રહીઓ ની યાદગીરી રૂપે દર વર્ષે એની ઉજવણી કરવામાં આવે છે. અંગ્રેજો નાં અન્યાયકર્તા કાયદા વિરુદ્ધનો એ સત્યાગ્રહ અનન્ય જ છે પરંતુ જેનું મહત્વ આજનાં આધુનિક યુગમાં પણ એટલું જ છે કદાચ એ વખત કરતાં વધારે છે એવાં "શિક્ષણાગ્રહ" અને શિક્ષણ નાં આગ્રહ માં સામા પવને અડીખમ ઊભાં રહેલાં મહાત્મા જયોતિબા ફુલે અને માતા સાવિત્રીબાઈ નાં કર્તૃત્વ ને ખબર નહીં કેમ પરંતુ વાંચી પણ નાં શકાય એવાં કોઈ અજાણ્યા ઈતિહાસ નાં પુસ્તક નાં પાના પર લખીને અંધારાં ખૂણામાં શા માટે સંતાડી રાખ્યું હશે ?
મહાત્મા જયોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં (ઇ.સ.૧૮૫૦ની આસપાસ) સ્ત્રીઓ અને શુદ્રોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતાં અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતું. મહાત્મા જયોતિબા ફુલે અને સાવિત્રીબાઇનાં લગ્ન પણ નાની ઉંમરે થયેલાં બાળલગ્ન જ હતાં. લગ્ન વખતે જયોતિબા ની ઉંમર ૧૩ વર્ષ તથા સાવિત્રીબાઈની ઉંમર માત્ર ૮ વર્ષની હતી. (જન્મઃ ૧૮૩૧). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જયોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી. જ્યોતિરાવ નાં પત્ની સાવિત્રીબાઈ ભણેલા નહોતાં, જયોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે એમને શિક્ષિત કરવાની શરૂઆત કરી. સામે પત્ની સાવિત્રીબાઈ પણ પતિ જ્યોતિરાવ નાં અભિયાન માં એટલી જ ત્વરા તથા ઉત્સાહ થી પ્રતિભાવ આપ્યો. જ્યોતિરાવ નું પોતાનાં પત્ની ને શિક્ષિત બનાવવા નું કાર્ય કોઈ ડિગ્રી માટે નહીં પરંતુ સમાજ માં મહિલા ઓને શિક્ષણ નહીં આપવાની પ્રથા ને કારણે સમાજમાં મહિલાઓ ની ખોવાઈ રહેલી ડિગ્નિટી પરત અપાવવા નાં પવિત્ર હેતુસર હતું, અન્યાય સામેની લડતની તૈયારી માટે હતું. પત્ની સાવિત્રીબાઈ ને જયોતિરાવે એવાં શિક્ષિત કર્યાં કે તે પોતે અન્ય ને ભણાવી શકે.
આ તરફ સાવિત્રીબાઈ નું શિક્ષણ પુરું થતાં જ જ્યોતિબા ફુલે એ મહિલા ઓ માટે શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ જ્યાં સ્ત્રી ને ભણાવવાની કલ્પના જ મરણપથારીએ પડી હોય ત્યારે કોણ મહાત્મા જયોતિબા-સાવિત્રીબાઈ ને સમર્થન આપે ? આત્યંતિક અને ભારે વિરોધ વચ્ચે મહાત્મા જયોતિબા તથા માતા સાવિત્રીબાઈ કન્યાઓ માટે શાળા ની શરૂઆત કરી. જ્યોતિબા ફુલે ની દૂરંદેશી અહીં જોવા જેવી છે, રૂઢિચુસ્ત સમાજ કદાચ કહેવા પુરતો દિકરી ને ભણાવવાની હા પાડી પણ દે પરંતુ જો શિક્ષક પુરુષ હોય તો એમને દિકરી ને, મહિલાઓ ને નહીં ભણાવવાનું અન્ય બહાનું મળી જાય આ વિચાર થી જ દૂરંદેશી મહાત્મા ફુલે એ પોતે શરૂ કરેલી શુદ્ર કન્યાઓ માટે ની શાળામાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઈને આપી, માતા સાવિત્રીબાઈ પણ અદ્ભુત વ્યક્તિત્વ નાં સ્વામિની પતિનાં આદર્શ, ધ્યેય ને સમજી ગયેલાં અર્ધાંગિની તુરંત જ કન્યાશાળા ની જવાબદારી ઉપાડી લીધી.
પ્રશ્ન મોટો તો એ પણ હતો રૂઢિચુસ્તતા અને મિથ્યાભિમાનમાં રાચતા સમાજના ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. આખરે શૈતાનો ની શૈતાનિયત છુપી થોડી રહે. માતા સાવિત્રીબાઈને કથિત ઉજળિયાત વર્ગોએ મહેણાંટોણાં મારવાની શરુઆત કરી, પરંતુ હિમાલય સમ અડગ એવાં મહાત્મા જ્યોતિબા જેવાં પતિનાં પત્ની એમ કાંઈ ડગે ખરાં ? સમાજ ની મહિલાઓ ને તેમનાં સ્વમાન અને સન્માન ને શિક્ષણ થી વિભુષિત કરવાનાં મહાત્મા જયોતિબા ફુલે નાં સ્વપ્ન ને સાકાર કરવા માટે સાવિત્રીબાઈ ને મન મહેણાંટોણાં સાંભળવા કશું વિસાતમાં નહોતાં. પોતાનાં મહેણાંટોણાં થી સાવિત્રીબાઈ ને કશો જ ફરક નથી પડતો એવું જોઈને રૂઢિચુસ્ત અને મિથ્યાભિમાની ઓ ઓર નીચલી કક્ષાએ પહોંચી ગયા અને સાવિત્રીબાઈ જ્યારે શાળા માં કન્યાઓ ને ભણાવવા માટે ઘેરથી નીકળે એટલે રસ્તા માં સાવિત્રીબાઈ ઉપર કાદવકીચડ, છાણ, ગંદકી ફેંકવા ની શરૂઆત કરી અરે પથ્થરો મારતાં પરંતુ માતા સાવિત્રીબાઈ જેમનું નામ ડગવાનુ કે પાછાં પગલાં ફરવાનું તો શિખ્યા જ નહોતાં સાવિત્રીબાઈ મેરુ પર્વત જેવા મક્કમ અને અડગ હતાં. પરંતુ કાદવકીચડ, છાણ, ગંદકી વાળાં કપડાં પહેરીને શાળા માં જવાય નહીં અન્યથા દિકરીઓને ખોટો સંદેશો જાય કે ગંદા કપડાં પહેરી શકાય, પહેરીને શાળા માં આવી શકાય તો સ્વચ્છતા નાં શિક્ષણ નું શું ? પતિ જેટલા જ દૂરંદેશી તથા અડગ મનોબળ ધરાવતાં માતા સાવિત્રીબાઈ શાળા એ જતી વખતે પોતાની સાથે થેલીમાં કપડાં ની બીજી જોડી રાખવા માંડ્યા અને શાળાએ પહોંચી ને સમાજ દુશ્મનો એ ગંદકી નાંખી ને બગાડેલા કપડાં બદલી દેતાં. સાવિત્રીબાઇ મક્કમ હતાં તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યાકેળવણીના કામ માટે જયોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતી, એક ઘરેથી નિશાળે જતાં સુધી પહેરવાની અને ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની.
પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતાં હતાં,‘હું તો મારી ફરજ બજાવું છું. ભગવાન તમને માફ કરે.’ એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યું. જયોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનું જોર ન ચાલતાં હંમેશા બનતું રહ્યું છે તેમ લોકોએ જયોતિરાવના પિતા પર દબાણ કર્યું. જયોતિરાવના પિતાએ દબાણ ને વશ થઈ નાછુટકે, અનિચ્છાએ પણ જ્યોતિરાવ તથા સાવિત્રીબાઈ નેશાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. પરંતુ પોતાના ધ્યેય ને પ્રાપ્ત કરવા માટે જ જીવન જીવતાં જયોતિરાવે શાળા પસંદ કરી, જ્યોતિરાવ નાં ધ્યેય ને પૂર્ણ કરવા માટે અર્ધાંગિની તરીકે સાવિત્રીબાઈ એ પતિને પગલે જ આગળ વધવાનું પસંદ કર્યું અને બંનેએ ઘર છોડ્યું. જોકેસાવિત્રીબાઇને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પરંતુ જરા સરખા ખચકાટ વિના સમાજ સુધારણાના પતિનાં ધ્યેય નાં સાથી બનીને તેમણે ઘર છોડી દીઘું. નિશાળે ભણવા આવતાં શુદ્ર બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઇ પોતાના ઘરેથી તેમને પાણી આપતાં હતાં.
ભારતીય સમાજમાં જાગૃતિ નો પવન ફૂંકાવો શરુ થયો હતો,સતીપ્રથા બંધ થઇ અને વિધવાવિવાહ સામેનો વિરોધ ચાલુ થયો. તત્કાલીન સમાજમાં વિશિષ્ટ સ્થિતિ સર્જાઇ. યુવાન વયે વિધવા થયેલી, ખાસ કરીને ઉજળિયાત સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવું પડતું. વયના પ્રભાવને કારણે કોઇ સાથે સંબંધ થાય અને વિધવા સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જયોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે જાતિના ભેદભાવ રાખ્યા વગર વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભું કર્યું. એક બ્રાહ્મણ વિધવા બહેનને જયોતિબા સમજાવી ને આપઘાતના રસ્તે આગળ વધતી પાછી વાળીને પોતાના ઘરે લઇ આવ્યા. બહેને પોતાની વ્યથા વ્યક્ત કરી કે જો તે બાળકને જન્મ આપશે તો પિતાનાં નામ વગરના બાળકને સમાજ નહીં સ્વીકારે અને એ બાળક નું જીવન વેદનાથી ભરપૂર નરક સમાન બની જશે. વિધવા બહેનની વ્યથા સાંભળી ને જ્યોતિબા ફુલે એ તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. પત્ની તરીકે કેટલી વિકટ પરિસ્થિતિ હશે તેની કલ્પના આજે પણ ધ્રુજાવી દે પરંતુ સાવિત્રીબાઇ જ્યોતિબાની સાથે અડીખમ ઊભાં હતાં. એ વિધવા સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલાં પિતા જ્યોતિબા અને પછી માતા સાવિત્રીબાઇને અગ્નિદાહ આપ્યો.
સાવિત્રીબાઇનું મહત્ત્વ કેવળ જોતિબાનાં પત્ની હોવામાં નહીં, પણ સામા પૂરે તરનારા પતિનાં સરખેસરખાં સાથી બની રહેવામાં છે.
બે કાવ્યસંગ્રહો ‘કાવ્યફૂલે’ અને ‘બાવનકશી સુબોધરત્નાકર’ ઉપરાંત જોતિબાને તેમણે લખેલા પત્રોનાં સંકલન પ્રગટ થયાં છે. આજીવન સંઘર્ષ પછી ૧૮૮૮માં જોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી ૧૮૯૩માં પડેલા ભીષણ દુકાળ વખતે અને ૧૮૯૭માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો અને ૧૦ માર્ચ, ૧૮૯૭ના રોજ ૬૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઇનું પ્રદાન આટલાં વર્ષો પછી પણ અવિચળ છે.